વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં રોડ શો યોજ્યો હતો. ત્યારબાદ બંને નેતાઓએ આજે વડોદરામાં C295 વિમાનના ફાઇનલ એસેમ્બલી લાઇન પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું.
વડોદરામાં પીએમ મોદીએ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL)માં સી-295 વિમાનના નિર્માણ હેતું ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું. સ્પેન અને ભારત વચ્ચે 56 એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યા. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે. બાકીના 40 ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) દ્વારા બનાવવામાં આવશે. દેશમાં પ્રથમ વખત ખાનગી કંપની સૈન્ય માટે વિમાન બનાવશે..
આજે વડોદરા ખાતે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં રતન ટાટાને યાદ કર્યા હતા. પી.એમ.એ કહ્યું કે ‘તાજેતરમાં જ આપણે દેશના મહાન સપૂત રતન ટાટાજીને ગુમાવ્યા છે. જો આજે તે આપણી વચ્ચે હોત તો તેમને ખુશી થાત, પરંતુ તેમની આત્મા જ્યાં પણ હશે, તે ખુશ હશે. આ C-295 વિમાન ફેક્ટરી નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિને દર્શાવે છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે ‘જ્યારે હું ગુજરાતમાં સીએમ હતો, ત્યારે વડોદરામાં ટ્રેનના કોચ બનાવવા માટે એક ફેક્ટરી લગાવવાનો નિર્ણય કર્યો હતો. રેકોર્ડ સમયમાં ફેક્ટરીને ઉત્પાદન માટે તૈયાર પણ કરી દીધી. આજે આપણે તે ફેક્ટરીમાં બનેલા મેટ્રો કોચ બીજા દેશોને નિર્યાત કરી રહ્યા છીએ. મને પુરો વિશ્વાસ છે કે ભવિષ્યમાં આ ફેક્ટરીમાં બનેલા વિમાન પણ બીજા દેશોને નિર્યાત કરવામાં આવશે.’
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રગતિશીલ નેતૃત્વની પ્રસંશા કરવાની સાથે જણાવ્યું કે ‘સી 295 એરક્રાફટ ઉત્પાદનનો પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રિયલ એક્સેલન્સનું પ્રતિક છે અને આ પ્રોજેક્ટથી ભારત-સ્પેનની દોસ્તી વધુ મજબૂત બની છે. ભવિષ્યમાં ભારતને ટેકનોલોજી ટ્રાન્સફરનો સંકેત આપતા તેમણે જણાવ્યું કે આ ઔધોગિક સહયોગ ઇજનેરો અને ટેક્નિશિયનોની તાલીમ અને ઘડતરના દ્વાર ખુલ્યા છે. સ્પેનમાં ભારતીય અને ભારતમાં સ્પેનિશ કંપનીઓ વધી રહી છે.તેનાથી રોજગારી સર્જન અને સંશોધનને વેગ મળ્યો છે. આ પ્રોજેક્ટ એમએસએમઇ ના વિકાસને વેગ આપશે.’
https://x.com/narendramodi/status/1850766592877158765
મધ્યમ અને લઘુ ઉદ્યોગો ને ખૂબ અગત્યના ગણાવતા સ્પેનના વડાપ્રધાનએ જણાવ્યું કે અમારા દેશમાં 99 ટકા કંપનીઓ એમએસએમઇ છે અને દેશના વિકાસમાં તેમનું ખૂબ યોગદાન છે. ભારત – સ્પેનના સંગીત સહિતના સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કરવાની સાથે તેમણે ભારતીય સંગીતકાર પંડિત રવિશંકરને અને સ્પેનિશ ગિટાર અને ભારતીય સિતાર વચ્ચેની એકરૂપતાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે મારા માટે આ ખૂબ સન્માનની વાત છે. આ પ્રોજેક્ટ ભારતના એરો સ્પેસ ઉદ્યોગની પ્રગતિનું પ્રતિક છે અને વિકાસના નવા દ્વાર ખુલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ઇન્ડસ્ટ્રિયલ પાવર હાઉસ બનાવ્યું છે. ભારત – સ્પેન દાયકાઓથી એકબીજાના વિશ્વસનીય મિત્ર રહ્યા છે અને આ પ્રોજેક્ટ થી ઔધોગિક સંબંધોની મજબૂતીને નવો આયામ મળ્યો છે. ટાટા ઉદ્યોગ સમૂહની તેમણે મહારથીઓમાં મહારથી ગણાવીને પ્રસંશા કરી હતી.ગુજરાતના વિવિધતાસભર ઔધોગિક વિકાસનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો.
આમ બંને દિગ્ગજ નેતાઓએ રતન ટાટાને યાદ કર્યા હતા અને આજાન કાર્યકરમાં ટાટા ગ્રૂપ ના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.