જામનગર મહાનગર પાલિકા દ્વારા માનવતાને શોભે તેવું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। જામનગર શહેરના જાહેર રોડ અને ધાર્મિક સ્થળો પર રાત્રિના સમયે રાતવાસો કરનારા ભિક્ષુકોને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને આઈસીડીએસ શાખાએ રેઈન બસેરામાં ખસેડ્યા છે. જ્યાં તેમને તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે.
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા તેમજ આઈસીડીએસ શાખા દ્વારા શહેરના જુદા જુદા ધાર્મિક સ્થળોના દ્વારે ઠંડીમાં સૂઈ રહેલા નાગરિકોને રક્ષણ આપવાના ભાગરૂપે સેલ્ટર હોમમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ૧૩ જેટલા ભિક્ષુકને હાપા સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં તમામ લોકો માટે ચા-પાણી, નાસ્તો, ભોજન, રહેવા-ઓઢવાની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી તથા અન્ય અધિકારીઓની ટીમ દ્વારા એસ્ટેટ શાખા તથા આઇસીડીએસ શાખાની ટુકડી મારફતે શહેરમાં હજુ પણ આવા જુદા જુદા ધાર્મિક સ્થળો સહિતની જગ્યાએ જો કોઈ નાગરિકો-ભિક્ષુકો ઠંડીમાં બહાર સૂઈ રહેલા હશે, તો તેઓને રેન બસેરા માં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવશે.