ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયલની સેનાએ હમાસના વધુ એક લીડરની હત્યા કરી છે. ઈઝારયલની સેના સાથેની અથડામણમાં હમાસ લીડર યાહ્યા સિનવાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જેનો એક ચોકાવનારો વીડિયો વાયરલ થયો છે.
યાહ્યાના સાથીઓ ઈઝરાયલના સૈનિકો સાથે યુદ્ધ કરી રહ્યા હતા. તે સમયે ઈજાગ્રસ્ત સિનવાર ભાગતા-બચતા એક જર્જરિત ઈમારતની પાછળ જઈ છુપાઈ ગયો હતો. તેની ઓળખ કરવા માટે ઈઝરાયલી સૈનિકોએ ડ્રોનની મદદ લીધી હતી. વાયરલ વીડિયોમાં ડ્રોન ઈમારતની અંદર જાય છે, ત્યારે માટી-ધૂળ અને રાખથી ઢંકાયેલો સિનવાર સોફા પર બેઠો હતો. તેણે ડ્રોનને જોયું પરંતુ કોઈ હિલચાલ કરી ન હતી. તે ડ્રોનને નજીક આવવાની રાહ જોઈ રહ્યો હતો. બાદમાં તેણે ડ્રોન તરફ દંડો ફેકયો અને ડ્રોન પર પ્રહાર કર્યો. પરંતુ ડ્રોને દિશા બદલી દેતાં તે આ હુમલાથી સુરક્ષિત રહ્યું હતું.
ડ્રોનના વીડિયોમાં સિનવારની ખાતરી થતાં જ ઈઝરાયલની સેનાએ બોમ્બમારો ચાલુ કર્યો હતો. જેમાં તેનું અંતે મોત થયુ હતું. સાંજે તેના મોતની ખાતરી કરવામાં આવી હતી. ઈઝરાયલે હિઝબુલ્લાના ઘણા લીડર્સને પણ ઢાળી દીધા હતા. ઈઝરાયલ એક વર્ષથી દાવો કરી રહ્યુ હતું કે, સિનવાર સુરંગોમાં બંધકો સાથે છુપાઈને બેઠો છે. પરંતુ ઈઝરાયલી સેનાએ તે એક જર્જરિત ઈમારતમાં છુપાયેલો મળી આવ્યો હતો. અથડામણ દરમિયાન તે નાસી ભાગીને અન્ય એક ઈમારતમાં છુપાઈ ગયો હતો. જેની શોધખોળ માટે ડ્રોનનો ઉપયોગ કરાયો હતો.
સિનવાર અને મોહમ્મદ ડૈફ ઈઝારયલ પર 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાના માસ્ટરમાઈન્ડ હતા. આ હુમલામાં 1200થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 240થી વધુ લોકોને ગાઝામાં નજરકેદ કરાયા હતા. જેમાં સિનવારને ઈયુ દ્વારા આંતકવાદી જાહેર કરાયો હતો.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મોટી જાહેરાત
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મોટી જાહેરાત કરી છે. નેતન્હાહૂએ હમાસ નેતા યાહ્યા સિનવારની મોત બાદ ગાઝાના લોકોને સંબોધિત કર્યું. જેમાં કહ્યું કે, જો હમાસ ઈઝરાયલ બંધકોને પરત કરવા અને હથિયાર મૂકવા રાજી થઈ જાય છે, તો કાલે યુદ્ધ સમાપ્ત થઈ જશે.
હવે જોવાનું રહ્યું કે, શું હમાસ બેન્જામિન નેતન્યાહૂના આ પ્રસ્તાવને માને છે? જણાવી દઈએ કે, યાહ્યા સિનવારને ઈઝરાયલ સેનાએ 17 ઓક્ટોબરે ખાતમો કરી દીધો હતો. સિનવાર ગત વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયલમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. ઈઝરાયલે બારોબાર એક વર્ષ 10 દિવસ બાદ સિનવારને મોતને ઘાટઉતારી દીધો. આ સાથે બે અન્ય આતંકવાદી પણ માર્યા ગયાં છે.
ખુદના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર વીડિયો મેસેજમાં બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, યાહ્યા સિનવારની મોત થઈ ચુકી છે. રાફામાં ઈઝરાયલના બહાદુર સૈનિકોએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. જોકે, આ ગાઝામાં યુદ્ધનો અંત નથી, પરંતુ આ તો ફક્ત શરૂઆત છે. ગાઝાના લોકોને મારો સીધો સંદેશ છે કે, યુદ્ધ કાલે ખતમ થઈ શકે છે, પરંતુ ત્યારે જ જ્યારે હમાસ પોતાના હથિયાર હેઠા મૂકી દે અને ઈઝરાયલ બંધકોને પરત કરી દે.
નેતન્યાહૂએ જાણકારી આપી કે, હમાસે ગાઝામાં 101 લોકોને બંધી બનાવીને રાખ્યા છે. તેમાં ઈઝરાયલ સહિત 23 દેશોના નાગરિક સામેલ છે. ઈઝરાયલ આ તમાને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. બંધકોને પરત લાવનારની સુરક્ષાની ગેરંટી ઈઝરાયલ લે છે. નેતન્યાહૂએ બંધકોને પકડનારને ચેતાવણી આપી છે કે, ઈઝરાયલ સતત તેમનો પીછો કરી રહ્યું છે. બંધકોને નુકસાન પહોંચાડનારને ઈઝરાયલ શોધી કાઢશે.