ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવી ભાષણબાજી કરતા હોય છે કે, ગુજરાતમાં અપરાધ થવા નહિ દઈએ, અને મોટી મોટી વાતો કરતા જોવા મળે છે, દાખલા તરીકે તેઓ કહે છે કે તમે આખી રાત ગરબે ઝૂમો, પણ ગુજરાતની જનતા સવાલ કરી રહી છે કે, દિકરીઓની સુરક્ષા કરશે કોણ? તેનું કારણ એ છે કે, ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સા વધી રહ્યા છે, પરિણામે મહિલાઓ અસલામતી અનુભવી રહી છે. ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા જાણે પડી ભાંગી હોય તેવુ ચિત્ર ઊપસ્યુ છે.
દાહોદમાં પાંચ વર્ષની માસુમ બાળકીને શાળાના નરાધમ આચાર્યએ જ હવસનો શિકાર બનાવી કરુણ હત્યા કરી નાંખી હતી. સુરેન્દ્રનગરમાં નશામાં ધૂત એક વ્યક્તિએ પાંચ વર્ષની માસુમ બાળકીને પીંખી નાંખી હતી. મહેસાણામાં એક સગીરા પર હોટલ પર દુષ્કર્મ આચરવામાં આવ્યં હતું. ઉત્તર ગુજરાતમાં જ એક ભૂવાએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં ભાજપ યુવા મોરચાના મંત્રીની સંડોવણી બહાર આવી હતી. આ ઘટનાઓ વચ્ચે શનિવારે (પાંચમી ઓક્ટોબર) વડોદરામાં ભાયલીમાં એક સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી.
ગૃહમંત્રી આખી રાત ગરબે ઝૂમવાની મોટાઉપાડે જાહેર કરી એવી શેખી મારે છે કે, શું અહીં ગરબા નહીં રમીએ તો પાકિસ્તાનમાં રમવાના? જે રીતે ગુજરાતમાં પંદરેક દિવસમાં જ દુષ્કર્મની છ ઘટનાઓ બની છે. ત્યારે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એવો ટોણો માર્યો કે, ‘શું હવે દિકરીના ન્યાય માટે પાકિસ્તાન જવાનું?’ દુષ્કર્મ, છેડતીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ ‘X’ પર લખ્યું કે, ભાષણ કરવામાં શૂરા ગૃહમંત્રી જો બહેન- દિકરીઓની સુરક્ષા કરી શકતા ન હોય તો રાજીનામુ આપી દેવું જોઈએ. આજે ગુજરાતમાં મહિલાઓ અસલામતી અનુભવી રહી છે.’