આંધ્ર પ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદના લાડુ ભેળસેળના મામલાની અસર દેશના અન્ય મંદિરો પર પણ જોવા મળી રહી છે. આ ઘટના સામે આવ્યા બાદ ઘણા મંદિરોએ પ્રસાદને લઈને તકેદારી વધારી દીધી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના લખનઉના મનકામેશ્વર મંદિરમાં બજારમાંથી ખરીદાયેલા પ્રસાદ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
તિરુપતિ લાડુ વિવાદ બાદ મનકામેશ્વર મંદિરના મહંત દિવ્યગીરીએ કહ્યું કે,’બહારથી લાવવામાં આવેલ પ્રસાદને મંદિરમાં ચઢાવવામાં નહીં આવે. ભક્તોએ ગર્ભગૃહમાં અર્પણ કરવા માટે પૂજારીને તેમના ઘરેથી તૈયાર કરેલો પ્રસાદ અથવા સૂકો મેવો જ આપવો જોઈએ. આ સિસ્ટમ સોમવાર (23મી સપ્ટેમ્બર) સવારથી અમલમાં આવશે.’