પાટીદાર અગ્રણી અને ધંધૂકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશી પટેલની બરવાળાના ભીમનાથ ગામે કરપીણ હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, ધરમશી પટેલ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામના રહેવાસી હતા અને ગામના જ કલ્પેશ મેર નામના શખસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી. ઘટનાના પગલે પરિવાર, ગામ અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. ઘટના બનતા જ તાત્કાલિક પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જ્યારે આરોપી કલ્પેશ મેરે ઝેરી દવા ગટગટાવી છે અને તે હાલ સારવાર હેઠળ છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ધરમશી પટેલ ભીમનાથ ગામે પોતાના ઘરની બહાર ઊભા હતા. આ દરમિયાન ઘરની નજીકમાં જ રહેતા કલ્પેશ સવજીભાઈ મેર નામનો શખસ ત્યાં આવી પહોંચ્યો અને ધરમશી પટેલ સાથે બોલાચાલીકરવા લાગ્યો હતો . ‘તમે નોકરીનું શું કર્યું, તમે નોકરી ના અપાવી જેના કારણે મારા ત્રણ વર્ષ બગડ્યાં છે’ તેવું કહીને ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ દોડીને તે ઘરે ગયો અને ત્યાંથી દાંતી-લોખંડનો પાઈપ લઈને આવ્યો. આરોપીએ અચાનક હુમલો કરી દેતા ધરમશી પટેલના માથા-ગળામાં ઈજા થઈ હતી અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. હાજર સ્થાનિક લોકોએ આરોપી કલ્પેશના હાથમાંથી તીક્ષ્ણ હથિયાર જુંટવી લીધું હતું. આરોપી હુમલો કરીને ભાગીગયો હતો અને ધરમશી પટેલને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બોટાદ SPએ ઘટના અંગે જણાવ્યું હતું કે, હત્યા અંગે તપાસ ચાલુ છે. આરોપી કલ્પેશ મેરને પોલીસે દબોચી લીધો છે. જોકે તપાસ દરમિયાન સામે આવ્યું કે બનાવ બાદ આરોપીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને તે હાલ સારવાર હેઠળ છે. જોકે, હત્યાનું સાચું કારણ પૂછપરછ બાદ જ સામે આવશે. અને હકીકતની ત્યાર બાદ જ જાણ થસે હાલ તપાસ ચાલુ છે.