બાલાજી તિરૂપતિ મંદિરના પ્રસાદમાં અભદ્ર વસ્તુઓની ભેળસેળના મુદ્દે દ્વારકા શારદાપીઠના પીઠાધિશ્વર જગદ્ગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ ઉગ્ર પ્રતિક્રિયા વ્યકત કરી જણાવ્યું છે કે ધર્મસ્થાનો અને મંદિરોનું સંચાલન કરવાનું કામ રાજનૈતિકો-રાજકારણીઓનું અને શાસકોનું નથી જ. મંદિરોનું સંચાલન ધર્માચાર્ય દ્વારા જ થાય તે યોગ્ય છે.
પ્રસાદમાં ભેળસેળ અંગે દુઃખ વ્યકત કરી તેમણે જણાયું હતું કે આ બાબતમાં સંચાલકોએ કેમ કોઈ ધ્યાન આપ્યું નથી ? આવો ભેળસેળ વાળો પ્રસાદ કેટલા સમયથી વિતરણ થતો હતો ? આ પ્રકરણમાં તપાસ થવી જોઈએ અને જે કોઈ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ .
આપણી ધાર્મિક પરંપરાઓમાં શાસ્ત્રમાં વર્ણન વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા અને અધિકાર વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.જેમાં કોણે શું કરવું જોઈએ તે સ્પષ્ટ પણે જણાવ્યું છે.
પ્રસાદને પણ નૈવેદ્ય છે અને પવિત્ર યજ્ઞ સમાન છે. પ્રસાદ/નૈવેદ્યનું નિર્માણ માત્રને માત્ર ગૌમાતાના શુદ્ધ ઘીમાંથી જ થવું જોઈએ. આ ઉપરાંત મંદિરોમાં કયા મંત્રો કયારે બોલવા, કયા ભગવાન માટે બોલવા, કેવો પ્રસાદ ધરવો જેવી તમામ બાબતોનો ઉલ્લેખ શાસ્ત્રમાં છે જ. નૈવેદ્ય, તુલસીપત્ર, પ્રસાદ વગેરે માટે ચોક્કસ માપદંડો સાથેની વ્યવસ્થા પણ દર્શાવેલ છે.
મંદિરોનું સંચાલન શાસ્ત્રો મુજબ જ થાય તે માટે કડક વ્યવસ્થા થવી જોઈએ. અસલી ઘી-નકલી ઘી, અસલી દૂધ-નકલી દૂધની જેમ અસલી હિન્દુ-નકલી હિન્દુનો મુદ્દો પણ વિચારવો જોઈએ. કોણ અસલી ધર્માચાર્ય છે, કોણ અસલી પૂજારી છે ?
ખરેખર મંદિરોમાં પૂજા, અર્ચના, યજ્ઞ, પ્રસાદ વગેરે તમામ વિધિઓના સંપૂર્ણ જાણકાર ધર્માચાર્ય અને પૂજારી જ હોવા જોઈએ, જેને શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન હોય.
ભારતમાં મંદિરો હિન્દુઓની આસ્થાના મુખ્ય કેન્દ્ર છે ત્યારે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે તકેદારી સાથે કાર્યવાહી વ્યવસ્થા કરવાની તાતી જરૂર છે